Bhagvat gitanu Manovaigyanik Vishleshan
Abstract
-: સાર સંક્ષેપ :- શ્રીમદ્ ભગવદ્ગીતા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલું ગીત જે આપણી ભારતીય સંસ્કૃતિનું પૌરાણીક કાવ્ય છે, જે ભારતના આધ્યાત્મિક ગ્રંથ અને એક મહાકાવ્ય તરીકે ખ્યાતિ પામેલ છે. તે કુરુક્ષેત્રનાં યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનાં સંવાદ પર આધારિત છે. શ્રી કૃષ્ણ ભગવાન સલાહકાર તરીકે વિવિધ સલાહ તકનીકોનો ઉપયોગ કરીને અર્જુનને સાંત્વના અને માર્ગદર્શન આપે છે. જેમ દરેક મનુષ્ય પોતાની ફરજો નિભાવવામાં મૂંઝવણનો સામનો કરે છે, તેમ અર્જુનને પણ આ સાર્વત્રિક દુવિધાનો સામનો કરવો પડ્યો હતો ત્યારે તે વિષાદની લાગણી અનુભવે છે અને શ્રી કૃષ્ણ આગળ શરણાગતિ સ્વીકારીને માર્ગદર્શન માંગે છે, ત્યારે શ્રી કૃષ્ણ એક સફળ સલાહકારની જેમ તેની બધી શંકાઓનું નિરાકરણ કરે છે અને સમજણની નવી રીતો શીખવે છે. અંતે, અર્જુનને સમજ મળે છે. તેના તમામ સંઘર્ષો અને તાણ દૂર થઈ જાય છે અને તે એક યોદ્ધા તરીકે તેની ફરજ નિભાવવા તૈયાર થઈ જાય છે. આમ, સમગ્ર ગીતા શ્રી કૃષ્ણ-અર્જુન સંવાદની રચના કરે છે અને આ સંવાદ સલાહકાર અને અસીલ વચ્ચેના સંવાદનું અનુકરણ કરે છે. શ્રી કૃષ્ણનો સલાહ અભિગમ મુખ્યત્વે નિર્દેશક અને જ્ઞાનાત્મક લાગે છે. ગીતાનો કેન્દ્રિય ઉપદેશ એ છે કે કર્તવ્ય નિભાવીને જીવનના બંધનમાંથી મુક્તિ અથવા સુખની પ્રાપ્તિ કરાવવી. જેમ મનોરોગ ઉપચારનો ઉદ્દેશ્ય આત્મ-અનુભૂતિ પછી વ્યક્તિની સુખાકારીમાં સુધારો કરવાનો છે, તેમ ભગવદ્ગીતાનો ઉદ્દેશ સ્વ-તપાસ અને મન અને હૃદયની ખુશીનો છે. આ અભ્યાસનો હેતુ ભગવદ્ગીતાનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાનો છે. ભગવદ્ગીતા અને સલાહ મનોવિજ્ઞાન, આધુનિક સલાહ પ્રક્રિયા, મનોરોગ ઉપચારની તકનીકો અને સારા સલાહકારનાં લક્ષણો વચ્ચે રહેલી સમાનતાઓને સમજવાની અને તેની ચર્ચા કરવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશોમાં સલાહ મનોવિજ્ઞાનમાં દર્શાવામાં આવેલ મનોરોગ ઉપચારની તકનીકો અને સારા સલાહકારનાં લક્ષણો જોવા મળે છે. સલાહ માટે મનોવૈજ્ઞાનિકોએ દર્શાવેલ અભિગમોમાં પણ ભગવદ્ગીતાની ઝલક જોવા મળે છે. કીવર્ડસ: ભગવદ્ગીતા, મનોવિશ્લેષણ, સલાહ, સલાહ મનોવિજ્ઞાન, મનોરોગ ઉપચાર, જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર, માનવતાવાદી-અસ્તિત્વ ઉપચાર, મનોગત્યાત્મક ઉપચાર, માઇન્ડફુલનેસ, સારા સલાહકારના લક્ષણો.